પાણીપતની ત્રીજી લડાઈ હાલનાં હરિયાણા રાજ્યનાં પાણીપત શહેર ખાતે ૧૮મી સદીમાં થયેલાં શ્રેણીબદ્ધ યુદ્ધો પૈકીની એક હતી.
દિલ્હીથી આશરે ૧૦૦ કિમી ઉત્તરે પાણીપત ખાતે ૧૪ જાન્યુઆરી ૧૭૬૧ના રોજ ખાસ અભિયાન પર રહેલા મરાઠા સામ્રાજ્યના સૈન્ય અને હુમલાખોર અફઘાન દુર્રાની સામ્રાજ્યના સૈન્ય વચ્ચે લડવામાં આવી હતી. દુર્રાની સામ્રાજ્યની સેનાને બે સ્થાનિક મિત્ર રાજ્યો ગંગા-યમુના પ્રદેશના અફઘાન રોહિલ્લા નજીબ-ઉદ્-દૌલા અને અવધના નવાબની મદદ હતી. સૈન્ય દૃષ્ટિએ જોતાં લડાઈ મરાઠા અશ્વદળ અને તોપખાનાં તથા અફઘાન મૂળના અબ્દાલી અને નજીબ-ઉદ્-દૌલાના નેતૃત્વ હેઠળની અફઘાન અને રોહિલ્લા ભારે અશ્વદળ અને તોપખાનાં (ઝંબુરાક અને જેઝૈલ) વચ્ચે હતી. આ લડાઈને ૧૮મી સદીની સૌથી મોટી અને નોંધપાત્ર લડાઈ માનવામાં આવે છે અને કદાચિત તે બે સૈન્ય વચ્ચે પરંપરાગત રીતે લડાતી લડાઈમાં એક દિવસમાં નોંધાયેલ સૌથી વધુ ખુવારીનો વિક્રમ પણ ધરાવે છે. ઈતિહાસકારોમાં લડાઈના સચોટ સ્થળ વિશે મતભેદ પ્રવર્તે છે પણ મોટાભાગના નિષ્ણાતોના મતે લડાઈ સાંપ્રત કાલા અંબ અને સનૌલી માર્ગ નજીકના કોઈ સ્થળે લડવામાં આવી હતી. લડાઈમાં આશરે ૧,૨૫,૦૦૦ સૈનિકોએ ભાગ લીધો હતો. ઈતિહાસકારોમાં બંને પક્ષે થયેલ ખુવારી બાબતે પણ મતભેદ પ્રવર્તે છે અને લડાઈ દરમિયાન કુલ મૃતકોની સંખ્યા ૬૦,૦૦૦-૭૦,૦૦૦ માનવામાં આવે છે.